અમદાવાદ શેહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી પટવાશેરીમાં લોકોની શેરમાટીની એટલે કે સંતાન ની ખોટ પૂરી કરતા શ્રી ભાભારાણા દેવનું મંદિર છે. જેમને સંતાન ન થતા હોય અથવા જેમનાં સંતાન જીવતા ન રહેતા હોય, તેવા દુ;ખીયારા નાં બેલી એટલે આ ભાભારાણા. આ પ્રથા સેંકડો વર્ષ થી ચાલી આવે છે. આ મંદિર આખા વર્ષમાં માત્ર બે દિવસ જ ખુલે છે હોળી અને ધૂળેટી.
અમુક લોકવાયકાઓ પ્રમાણે આ ભાભારાણા અત્યંત પવિત્ર જીવ હતા. તેમને વચનસિધ
્ધિ સહજ હતી. જે સમય માં મેડીકલ સાયન્સ આજ નાં જેટલુ વિકસેલું ન હતું અને બાળક થવા માટે ની કોઈ દવા શોધાઈ ન હતી, ત્યારે આ પવિત્ર જીવ ની માત્ર આશિષ થી શેર માટી ની ખોટ પુરાઈ જતી હતી. એ સમય માં દવાઓનાં અભાવે જન્મેલા બાળકો નું મરણ નું પ્રમાણ વિશેષ હતું ત્યાંરે ગામડા માં આ વચનસિધ્દ્ધ પવિત્ર પુરૂષ ની માત્ર આશિષ થી બાળ-બચ્ચા બચી જતા હતા.
એક દંતકથા અનુસાર આજે જ્યાં મંદિર સ્થિત છે, ત્યાં એક ઓટલો હતો. ભાભારાણા દેવ તે ઓટલા પર બેસતા અને લોકોની સમસ્યાઓ ને હલ કરતા. એવું માનવામાં આવે છે કે હોળી નાં દિવસે ભાભારાણા દેવે આ ઓટલા પર જ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યારબાદ દર હોળી-ધૂળેટીએ તેમની યાદમાં મુર્તી બનાવીને પૂજવાની અને દીનદુખીયાંના દર્દ દુર કરવાની પ્રથા શરૂ થઈ.
ગામનાં અમુક વૃદ્ધ લોકોના કેહવા પ્રમાણે આ ભાભારાણા દેવનો ઈતિહાસ ૪૦૦ વર્ષ કરતા પણ જુનો છે. સુવિખ્યાત કવિ અને આખ્યાનકાર શામળ ભટ્ટ લિખિત ‘સિંહાસન બત્રીસી’ માં આ ભાભારાણા દેવનાં સગડ મળે છે. રાજા વિક્રમ નાં સમય માં આ ભાભારાણા થઈ ગયા હોવાનાં પુરાવા મળે છે. જો કે ઈતિહાસ ગવાહ છે કે શામળ ભટ્ટ પણ ગોમતીપુર માં જ રહેતા હતા એ સમયે ગોમતીપુર નું નામ ‘વેંગણપુર’ હતું. તો વેંગણપુર માંથી ગોમતીપુર ક્યારે થયું? વડીલો પાસે થી કથા સંભાળવા મળે છે કે અમદાવાદ નાં બાદશાહ ની 'ધાવમાતા' નું નામ ગોમતી હતું અને તે વેંગણપુર ની હતી, બાદશાહે ધાવમાતા નાં નામ ને ગોમતીપુર નું નવું નામ આપ્યું.
હોળીનાં આગળ નાં દિવસે ચીકણી માટીમાંથી શ્રી ભાભારાણા દેવ ની મૂર્તિ બનાવીને સ્થાપન કરવામાં આવે છે. સૈકાઓથી ચાલતી આવતી પરંપરા મુજબ ગોમતીપુર નાં યુવાનો હોળી નાં આગલા દિવસે તળાવમાંથી લગભગ ૧ ટન જેટલી ચીકણી માટી લાવે છે. આખી રાત જાગીને ગામનાં લોકો ભેગા મળીને શ્રી ભાભારાણા દેવની મૂર્તિ બનાવે છે. વેહલી સવાર સુધીમાં તો માનો કોઈ તેજસ્વી રાજા આપણી સમક્ષ સિંહસન પર જીવતો બિરાજમાન થઇ ગયો હોય તેવા સુંદર વાઘા, અમૂલ્ય ઘરેણા, કાચ ની આંખો તથા મોટા હાર સાથે સજ્જ શ્રી ભાભારાણા દેવની મૂર્તિ તૈયાર કરી દેવામાં આવે છે. મૂર્તિ બની ગયા પછી હોળી નાં દિવસે સવારે ૫ વાગે વાજતા-ગાજતા ઢોલ-નગારા સાથે મંગળા આરતી કરવામાં આવે છે.
ત્યારબાદ હોળી અને ધૂળેટી નાં દિવસે ભાભારાણા દેવનાં દર્શન કરવા અને સંતાનસુખ તેમજ અન્ય સમસ્યાઓ ની માનતા રાખવા દુર-દુરથી લોકો આવે છે. વર્ષ દરમ્યાન માત્ર બે જ દિવસ ખુલતું હોવાથી માનતા રાખવા તથા માનતા પૂરી કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. માનતા પૂર્ણ થયા બાદ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે લાકડાના પારણા, ચાંદીના પારણા, છત્ર, શ્રીફળ વગેરે ચઢાવીને પોતાની માનતા પૂર્ણ કરે છે. જે કુંવારા યુવક-યુવતીઓનાં લગ્ન ન થતા હોય તે પણ માનતા રાખતા હોય છે અને માનતા પૂર્ણ થયા બાદ ઢીંગલા કે ઢીંગલી ચઢાવે છે.
ધૂળેટી નાં દિવસે સાંજે ૫ વાગે પાલખી સાથે ગોમતીપુર ગામમાં શ્રી ભાભારાણા દેવની શોભાયાત્રા નીકળે છે અને રાત્રે નદી માં મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ અનોખા ઉત્સવનું સમાપન થાય છે.
૪૦૦ વર્ષો બાદ પણ એક પણ વર્ષ ચુક્યા વિનાં આ ઉત્સવ ઉજવાય છે જેમાં કોઈ પુજારી નથી, કોઈ ચોકકસ કોમ-જાતી નો ઈજારો નથી. માત્ર અને માત્ર શ્રધ્ધા ઉપર જ આ તહેવાર આ જ સ્થળે ઉજવાય છે.
અહી દુખિયારા નાં દુઃખ દુર થતા હશે તો જ ૪૦૦ વર્ષ થી આ પરંપરા ચાલી હશે ને? ભલે આપણી કોઈ માંગણી કે ઈચ્છા ન હોય, દર્શને જવા માં કશું જ ખોટું નથી.
વર્ષ માં માત્ર બે જ દિવસ ખુલતું શ્રી ભાભારાણા દેવનું આ મંદિર છે. જેની મુલાકાત લેવા જરૂર પધારજો. ત્યાર સુધી ‘જય ભાભારાણા’.
સરનામું –
શ્રી ભાભારાણા દેવસ્થાન,
પટવાશેરી, ગોમતીપુર ગામ,
અમદાવાદ -૩૮૦૦૨૧